Thursday, October 20, 2016

પ્રજા પોલીસને મારે છે શુ કામ ?

થોડા દિવસ પહેલા અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ઝડપે કાર ચલાવી રહેલા યુવકને પોલીસે ઠપકો આપતો, યુવકે પોલીસ ઉપર હુમલો કરી નાખ્યો, તેવી જ રીતે સોલા પાસે ટ્રાફિક પોલીસે સીગ્નલ તોડનાર યુવકને અટકાવતા તેણે ટ્રાફિક પોલીસની ધોલાઈ કરી નાખી, જયારે નો પાર્કિગ ઝોનમાં બાઈક પાર્ક કરનાર યુવકનું બાઈક ટો થતાં તેણે પણ પોલીસને માર માર્યો હતો. આપણે બધા જ નાના હતા ત્યારે આપણા વડિલો સામાન્ય રીતે કહેતા ચાલ સુઈ જા બાવો આવશે, અથવા તોફાન બંધ કર નહીંતર પોલીસ આવી જશે. આવુ મોટા ભાગના ઘરોમાં આજે પણ થાય છે તેના કારણે ભગવા વસ્ત્ર પહેરનાર સન્યાસી અને પોલીસ માટે માન થવાને બદલે બાળ માનસથી પોલીસ અને સન્યાસી આપણા માટે રાક્ષસ સમાન રહ્યા છે.

સન્યાસી પાસે તમે ના જાવ તો ચાલે પણ કોઈ પણ સમાજને પોલીસ વગર ચાલી શકતુ નથી, જો કે કુલ વસ્તીના દસ ટકા લોકોને જીવનમાં એક પણ વખત પોલીસ સ્ટેશન સામાન્ય કામ માટે પણ જવુ પડયુ નથી છતાં પોલીસનું નામ પડે તો પોલીસની હાજરીમાં ભલે તેમને માન મળે પણ જેવી પોલીસની પીઠ ફરે તેની સાથે દુનિયાના શ્રેષ્ઠ શબ્દો દ્વારા તેમને બહુમાન આપવામાં આવે છે. જો કે પોલીસને માન નહીં મળવા માટેના તેમના વ્યકિતગત કારણો પણ છે, પોલીસ પુરૂષોત્તમના સ્વરૂપમાં છે છતાં તેમને ગાળ અને માર પડે તેવી હકિકત પણ નથી, છતાં પોલીસને ખાસ કરી ગુજરાતમાં માર પાડવાના કારણો અલગ છે.કાશ્મીરમાં પણ પણ પોલીસ ઉપર હુમલાઓ થાય છે પણ તેના કારણે ત્યાંની સ્થિતિ પ્રમાણેના અલગ છે, છતાં અમદાવાદમાં ખાસ ટ્રાફિક પોલીસ અને પીસીઆર વાન ઉપર હુમલા થવાના કારણો પણ અલગ છે.

જયાં સુધી ભ્રષ્ટાચારનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતમાં પોલીસનો નંબર કદાચ દસમાં નંબરે છે, છતાં સૌથી વધુ બદનામ પોલીસ છે. સરકારીના પ્રતિનિધિ તરીકે યુનિફોર્મ પહેરી રસ્તા ઉપર ઉભો રહેનાર પોલીસ છે. પ્રજાને તેને રોજ સવાર સાંજ રસ્તા ઉપર ટ્રાફિક કંટ્રોલ કરતા જુવો છે, પણ તે પોલીસને ટ્રાફિક કંટ્રોલ કરવા કરતા ઓવરલોડ ટેમ્પો, વધુ પેસેન્જર લઈ જતી રીક્ષા અને હેલ્મેટ પહેરી વગર નિકળતા વાહન ચાલકોને રોકવામાં વધુ રસ હોય છે. આ કામ પણ ટ્રાફિક પોલીસનું જ છે, પણ તે વાહનો રોકયા પછી પાવતી બનાવવા કરતા રોકડીમાં તેને વધુ રસ હોય છે, જો કે વાહન ચાલકને પણ પાવતી કરતા ઓછી રકમમાં કામ પતાવી દેવાની ઉતાવળ હોય છે. તાળીઓ તો બંન્ને હાથે પડે છે. પણ હજારોની સંખ્યામાં પસાર થતાં વાહન ચાલકોની હાજરીમાં આ આ વ્યવહાર થાય છે.

પોતાની ચેમ્બરમાં કરોડોનો વ્યવહાર કરતા આઈએએસ અને આઈપીએસ અધિકારી વધુ ધૃણાપાત્ર હોવા જોઈએ છતાં પાંચ પચ્ચીસ રૂપિયા લેતો ટ્રાફિક કોન્સટેબલ વધુ ધીક્કારપાત્ર બને છે. આવા સંજોગોમાં જયારે કોઈ પોલીસ પ્રમાણિકપણે પોતાનું કામ કરવા જાય ત્યારે તેના ઈરાદાઓ પણ શંકાને દ્રષ્ટીએ જોવામાં આવે છે. અને પછી પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય. એક સામાન્ય સ્કુટર ચાલક જુવે છે કે ટ્રાફિક પોલીસ ઓડી કારમાં ફોન ઉપર વાત કરી રહેલા ડ્રાઈવરને કયારે રોકવાની હિમંત કરતી નથી, સ્કુલવાનમાં જતો વિધ્યાર્થી જુવે છે, કે જયારે ટ્રાફિક પોલીસ તેની વાનને અટકાવે ત્યારે સ્કુલવાનના ડ્રાઈવર અંકલ એકસોની નોટ પકડાવી કામ પતાવી દે છે.

રસ્તા ઉપર લારી લઈ ધંધો કરતો એક લારીવાળાને ધ્યાનમાં આવે છે, પોલીસ રોજ તેની પાસેથી મફતનું ખાય છે અને હપ્તા પણ લઈ જાય છે, પણ મોટી મીઠાઈ દુકાનોના માલિક ફુટપાથ ઉપર મંડપ બાંધી ધંધો કરે છે પણ પોલીસ ત્યાં જવાની હિમંત કરતી નથી. આવી નાની નાની બાબતો સામાન્ય માણસના મનમાં ઘર કરી જતી હોય છે. પણ બાળપણથી પોલીસથી ડરવુ જોઈએ તેવુ શીખવવામાં આવ્યુ હોવાને કારણે તે પોલીસની સામે પડવાની હિમંત કરતો નથી, પણ એક દિવસ તેનો ગુસ્સો ફાટી પડે ત્યારે તે પોલીસને મારવાથી પણ ચુકતો નથી.

પોલીસ ઉપર હુમલો થાય તે હરગીજ ચલાવી શકાય નહીં કારણ તે માત્ર ખાખી કપડા ઉપરનો હુમલો નથી  પણ તે  સીસ્ટમ ઉપર થતો હુમલો છે. અને જો એક વખત પોલીસને મારવાની ટેવ પડી જશે તે સામાન્ય માણસ માટે  આવો સમાજ વધુ જોખમી બની જશે, છતાં પોલીસને પણ પોતાને ખાખીમાં ઝાંકીને જોવાની જરૂર છે , પોલીસનો ડર ગુંડાઓને લાગવો જોઈએ, પ્રજાને નહીં, પણ પરિસ્થિતિ તેના કરતા વિપરીત છે,પ્રજા પોલીસને માન આપે તેવી સ્થિતિ માટે પોલીસે વિચારવુ પડશે અને વર્તવુ પડશે. અને વાત રહી પોલીસ ઉપર હુમલો કરનારની ત્યારે હુમલાખોર કોઈ પણ નેતાનો સગો અથવા શ્રીમંતનો નબીરો હોય પણ તેના માટે આપણે કોઈએ ભલામણ કરવાને બદલે એટલુ જ કહેવુ પડશે તેની તેની જ ભાષામાં સમજાવો.

9 comments:

  1. There is a lack of discipline in people actually law is enacted to protect the people but people are not only violating the law But assaulting upon police for which ultimately people has to suffer

    ReplyDelete
  2. આવા હુમલા નો વ્યક્તિગત રીતે હુ પણ વિરોધી છુ...પરંતુ પોલીસ કે સિસ્ટમ જ્યારે અસામાજિક પ્રવૃત્તિઓ કે વ્યક્તિઓ
    ને ઉગતી જ ડામવાને બદલે તેને આવક નુ સાધન બનાવે છે
    ત્યારે આમ જનતા ની નજરો મા તેઓની કોઇ જ કિંમત રહેતી નથી અને પછી આવી રીતે તેમના પર રોષ ઉતારે છે...

    ReplyDelete
  3. આવા હુમલા નો વ્યક્તિગત રીતે હુ પણ વિરોધી છુ...પરંતુ પોલીસ કે સિસ્ટમ જ્યારે અસામાજિક પ્રવૃત્તિઓ કે વ્યક્તિઓ
    ને ઉગતી જ ડામવાને બદલે તેને આવક નુ સાધન બનાવે છે
    ત્યારે આમ જનતા ની નજરો મા તેઓની કોઇ જ કિંમત રહેતી નથી અને પછી આવી રીતે તેમના પર રોષ ઉતારે છે...

    ReplyDelete
  4. you right dada
    POLICE PRAJA NI MITRA KYARE BANSE???

    ReplyDelete
  5. you right dada
    POLICE PRAJA NI MITRA KYARE BANSE???

    ReplyDelete
  6. Each and every cader little staff have to suffer from public

    ReplyDelete