આદરણીય નરેન્દ્રભાઈ
તમે નોટબંધી અંગે કરેલા આદેશ બાદ દેશભરમાં એક જ ચર્ચા છે, હું લાંબા સમયથી આખી ઘટનાને નજીકથી જોઈ રહ્યો છુ, કારણ પણ હું પણ કયાકને કયાંક આખી વ્યવસ્થાના એક નાનકડો ભાગ છુ, આ સંદર્ભમાં જે લખાય છે અને બોલાય છે, તે વાંચુ છુ અને સાંભળુ છુ, પણ છતાં મારી સમજ સ્પષ્ટ થતી નથી, સરળ શબ્દોમાં કહુ તો મીશ્રલાગણી અનુભવી રહ્યો છુ,તમારા તમામ નિર્ણયોની ટીકા જ થવી જોઈએ તેવા મત પણ નથી, અને તમને આંઘળો ટેકો પણ આપી શકતો નથી, પણ એક નાગરિક તરીકે હું કેટલીક બાબતોનું ધ્યાન દોરવા માગુ છે, કદાચ તેમાંથી તમને કઈક રસ્તો મળે તેવા ઉદ્દેશથી આ પત્ર લખી રહ્યો છુ.
તા 9મી નવેમ્બર સવારના એક મારો શ્રીમંત મીત્ર મળી ગયો, તેના ચહેરા ઉપરની ચીંતાનું કારણ તેની પાસે રહેલા કરોડો રૂપિયા હતા, ત્યારે મને લાગ્યુ કે પૈસા નહીં હોવાને કારણે હું સુખી છુ, પણ બે-ત્રણ દિવસમાં જ મારૂ સુખ પણ લાચારીમાં બદલાઈ ગયુ, મારી પાસે પૈસા હતા, પણ તે પાંચસો અને એક હજારની થોડીક નોટો હતી, જે ઘર ખર્ચ માટેની હતી, પણ બજારમાં તેને કોઈ હાથ અડાવવા તૈયાર ન્હોતુ, મને પેલો જ મારો મીત્ર યાદ આવી ગયો, મેં તેને ફોન કર્યો, વિનંતી કરતા કહ્યુ મને પાંચ-દસ હજારની નવી નોટો મળી શકે તો મારૂ કામ નિકળે, તેણે મને થોડીક જ વારમાં વ્યવસ્થા કરી આપી, જો કે તા 9મીના રોજ તેના અવાજમાં જે ચીંતા હતા તે ગાયબ હતી, મેં તેમને પુછયુ મારે દસ-પંદર હજાર માટે આટલુ દોડવુ પડે છે, તો તમારી પાસે તો કરોડો રૂપિયા હતા, તો તમને ચીંતા થતી નથી, તેમણે મને જવાબ આપ્યો ચીંતા તો મધ્યમવર્ગે જ કરવાની હોય છે, અમારા જેવા લોકોની તો વ્યવસ્થા થઈ જાય છે.
નરેન્દ્રભાઈ જેમની પાસે કરોડો રૂપિયા હતા, તેઓ લાઈનમાં ઉભા રહ્યા નહીં છતાં તેમની કરોડોની નોટો બદલાઈ ગઈ, તો મને સમજાતુ નથી કઈ રીતે કાળુ નાણુ બેન્ક સુધી આવ્યુ, જયારે મારી પત્નીએ ઘર ખર્ચ ચલાવતા બચાવી રાખેલા થોડાક હજાર હજારો રૂપિયા બેન્કમાં જમા કરવા ગયો ત્યારે બહુ વિચિત્ર લાગણી થતી હતી, પૈસા ભરવા ગયો ત્યારે ચોર જેવી લાગણી હતી, અને પૈસા લેવા જતો હતો ત્યારે કોઈ સદાવ્રતની બહાર ઉભા રહેલા ભીક્ષુક જેવુ લાગતુ હતું. આ દિવસો દરમિયાન ખુબ લોકો ચર્ચા કરતા હતા, જાણે તેઓ આયોજનપંચના અધ્યક્ષ હોય, પણ હું સામાન્ય રીતે ચર્ચા ટાળતો હતો, કારણ મને ટપ્પી જ પડતી ન્હોતી, આમ છતાં પત્રકારોને તો બધી જ ખબર પડે તેવુ માનતા પડોશીઓ અને મીત્રો કઈ રીતે મારી વ્યથા સમજાવુ. આખી ઘટનામાં જેમની પાસે કરોડો રૂપિયા છે અને જેમની પાસે માત્ર ઘર ચલાવવાની વ્યવસ્થા તેવા બધાને મે સાંભળ્યા તે કરતા તેમને વાંચવાનો પ્રયત્ન કર્યો છે.
મારા બીજા એક મીત્ર જેનો મોટો કારોબાર છે, તેમણે મને આ ચર્ચા પુછયુ તમે કેટલો ઈન્કમટેકસ ભરો છો.. મેં મારો પાંચ આંકડાના છેલ્લા ઈન્કમટેકસની તેની માહિતી આપી, તે મારી સામે જોઈ રહ્યો, જાણે જગતનો સૌથી જુઠ્ઠો માણસ હોઉ તે રીતે જોઈ રહ્યા , મેં તરત મારા મોબાઈલ ફોનમાં તેમને એક સારા કરદાતા તરીકે પાઠવેલ પત્ર બતાડયો, તેમણે આશ્ચર્ય સાથે પુછયુ આટલો બધો ટેકસ ભરો છો, મેં કહ્યુ અમે ટેકસ ભરતા નથી, અમારા પગારમાંથી ટેકસ કાપીને જ પગાર અમારા હાથમાં આવે છે.પગારદાર 12 મહિના નોકરી કરે છે, તેમાં 11 મહિનાનો પગાર મળે છે, જયારે એક આખા મહિનાનો પગાર ઈન્કમટેકસમાં જતો રહે છે. જયારે કરોડોનો કારોબાર કરતા લોકો એક સરકારી પગારદાર કરતા ચાર ગણો ઓછો ટેકસ ભરે ત્યારે પ્રશ્ન થાય છે આવુ કેમ ..
નરેન્દ્રભાઈ આ આખી પ્રક્રિયા દરમિયાન મને સમજાયુ છે, જે મધ્યવર્ગનો વેપારી ટેકસની ચોરી કરે છે, તે આજ માટે કરતો નથી, તે તેની અાવતીકાલ માટે ચોરી કરી રહ્યો છે, તેને ડર લાગી રહ્યો છે કે તેના હાથ પગ ચાલવાના બંધ થઈ જશે ત્યારે તેની સંભાળ તેની મુડી લેવાની છે, વૃધ્ધા અવસ્થામાં બીમાર પડશે ત્યારે તેની અંદર સરકારી સિવિલ હોસ્પિટલમાં જવાની હિમંત હશે નહીં, તેને સ્વચ્છ અને પ્રેમથી બોલતા ડૉકટર અને નર્સની સારવાર માટે લાખો રૂપિયા આપવા પડશે, તેથી તે સરકારી તીજોરીમાં કર આપવાન બદલે તમારી નજર ચુકવી થોડી રકમ પોતાની તીજોરી તરફ સરકાવી દે છે, સમાજનો બહુ મોટો વર્ગ એક સાથે એક કરતા વધુ નોકરી અથવા ધંધો કરો છે, કારણ તે પોતાના પરિવારને સુખી જોવા માગે છે, શિક્ષણ અત્યંત મોંઘુ થઈ ગયુ છે, મારી હિમંત પણ નથી કે હું મારા બાળકોને સરકારી શાળામાં મોકલી શકુ, અને સરકારી હોસ્પિટલ જોતા જ ખરાબ વ્યવહારની બીક લાગે છે. આ સ્થિતિમાં માણસ પોતાની આજ દાવ ઉપર લગાડી સારી અાવતીકાલ માટે ચોરી કરી રહ્યો છે.
મારા વૃધ્ધા અવસ્થામાં મને બે ટંકનો રોટલો, અને જરૂર પડે તો દુનિયાની શ્રેષ્ઠ સારવાર પૈસા વગર મળી શકે તેવી ખાતરી જો મને થાય તો કદાચ મારા મનમાંથી ટેકસ બચાવવાનો વિચાર જતો રહેશે. દેશના મોટા વર્ગને શ્રીમંત થવુ નથી, તેના બાળકને સારૂ શિક્ષણ- સારૂ ભોજન અને સારવાર મળી રહે તેવી જ અપેક્ષા છે. બાકી જેટલો દેશને તમે પ્રેમ કરો છો એટલો જ અમે પણ કરી છીએ, અને તમારી ટીકા કરનારા પણ દેશને પ્રેમ કરે છે.
આપનો
પ્રશાંત દયાળ